મા !( Maa )
મા પોતાના બાળકના દુઃખે દુઃખી અને તેના સુખે સુખી રહે છે. માં પોતાનાં બાળકો મા સંસ્કારોનું સિંચન કરવામાં મા હંમેશા તત્પર રહે છે. એટલે તો કહેવાય છે કે ''એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે.''
''તપતા તડકે તનથી વાયુ શીત વહાવે મા;
પાલવમાં પોઢાડી શિશુને પ્રીત બતાવે મા.''
અહી આજ ની વાર્તા મા એક માં જે પોતાના પુત્ર ને જીવનભર કાણા હોવાનો પસ્તાવો ન રહે કે ના કોઈના મેણાં સાંભળવા પડે એન માટે પોતાની આંખો આપી દે છે અને પોતે જીવન ભર એક આંખ વડે પોતાનું જીવન પોતાના બાળક માટે ન્યોછાવર કરી નાખે છે.પણ બાળક ને એના ત્યાગ વિશે કદી જાણ થતી નથી પણ જ્યારે એ આ ધરતી પર થી ચાલી જાય છે.અને માં એ લખેલો પત્ર મળે છે ત્યારે પોતાને મળેલ આંખો એ માની છે અને તે આજ દિન સુધી પોતાની માને કોસતો રહ્યો એનો પારાવાર પસ્તાવો થાય છે પણ હવે શું !!!!
૧. એક આંખવાળી મા!
એક છોકરાની માતાને એક જ આંખ હતી. બીજી આંખની જગ્યાએ ફક્ત એક ખાડો હતો. એ છોકરાને એનાથી ખૂબ જ શરમ આવતી. ધરમાં ફક્ત એ અને એની માં એમ બે જ જણ રહેતાં હતાં. એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. એની મા બીજાના ઘરનાં કામ કરીને એ બંનેનું જીવન પૂરું કરતી હતી. મા રોટલો રળવા માટે કરીને રાત-દિવસ એક કરીને મજૂરી કરે છે એ પેલા છોકરાના ધ્યાનમાં ક્યારેય આવતું નહીં. પરંતુ એને તો બસ, પોતાની કાણી માનો દેખાવ જ મનમાં ખટક્યા કરતો.
એક દિવસ કોઈક જરૂરી કામથી એની મા એની નિશાળે આવી હતી. પોતાની કાણી મા આવી એ પેલા છોકરાને જરા પણ ન ગમ્યું. પોતાની માતા ની સાથે વાતચીત કરવાને બદલે એ દોડીને ત્યાંથી ભાગી ગયો. એ દિવસે ઘરે પહોંચીને એ પોતાની મા સાથે બરાબરનો ઝઘડ્યો. બરાડા પાડીને એણે કહ્યું, “તું મારી નિશાળે શું કામ આવી? બધા શાળા માં મારી મજાક મશ્કરી કરે એ તને ગમતું લાગે છે કાં? ‘તારી માતા તો એક આંખે કાણી છે' એવું કહીને બધા મિત્રો અને શાળા ના બાળકો મને ચીડવે છે. આના કરતાં તો હું ક્યાંક ભાગી જાઉં અથવા તું જતી રહે, અથવા તું મરી જા! તો મારે કઈ સાંભળવું જ ના પડે'
આવેશમાં ને આવેશમાં એ આવું કેટલું અને કેવું બોલી ગયો એનો એને ખયાલ જ નહોતો રહ્યો. પણ એની માતા કાંઈ જ ન બોલી. ચૂપચાપ ઊભાં ઊભાં એ આંસુ સારતી રહી.
પછી તો દિવસો એમ જ પસાર થતા ગયા. પેલો છોકરો મોટો થયો. કૉલેજ પૂરી કરી એ પરદેશ જતો રહ્યો. ત્યાં જઈ ને એક છોકરી સાથે ત્યાજ એણે લગ્ન કરી લીધાં. લગ્ન વખતે એની માતાને જાણ કરવા માટે પોતાના સરનામા સાથેનો પત્ર (કાગળ) એને લખેલો. બસ, એ પછી કોઈજ જાતનો પત્રવ્યવહાર એણે ક્યારેય કરેલો જ નહીં.એમ કરતાં કરતાં વરસો વીતતાં ગયાં.સમય જતાં એને ત્યાં પણ બાળકો થયાં.
એક દિવસ એની મા અચાનક એના લગ્ન વખતે લખેલ પત્રમાં રહેલાં સરનામાને આધારે શોધતી શોધતી એના ઘરે પરદેશ પહોંચી ગઈ. દીકરાને જોયાને એક દાયકાથી પણ વધારે સમય પસાર થઈ ગયો હતો એટલે એનાથી રહેવાયું નહીં. એણે પોતાના એક દાયકાની કમાણીમાંથી પાઈ પાઈ બચાવીને ટિકિટ ખરીદી હતી અને માંડ પરદેશ પહોંચી હતી. દીકરાને ત્યાં પણ હવે દીકરા-દીકરી આવી ગયાં હશે એ વિચારથી જ એને આનંદ થતો હતો. પૌત્ર-પૌત્રીને જોવાની એક છૂપી તાલાવેલી પણ એના મનમાં સ્થાન લઈ ચૂકી હતી.
ઘણી મહેનત પછી એને દીકરાનું ઘર મળ્યું.એના ઘરનાં બારણાં પર દીકરાના નામની તકતી વાંચીને જ એની આંખમાં આંસુ આવી ગયાં. એણે ખુબ જ વહાલથી એ તકતી ઉપર બે વાર હાથ ફેરવી લીધો. પછી ધ્રૂજતા હાથે દરવાજા પર નો બેલ વગાડ્યો. એના દીકરાના મોટા દીકરાએ બારણું ખોલ્યું. એની જોડે એનાથી નાની બહેન હતી. બંને છોકરાં વિચિત્ર પોશાક પહેરેલી એક આંખવાળી વૃદ્ધ સ્ત્રીને જોઈને જોરજોરથી હસવા લાગ્યા. પણ એનો સૌથી નાનો દીકરો એને જોઈને જોર જોર થી રડવા લાગ્યો. એના રડવાનો અવાજ સાંભળીને ધરમાંથી એનો દીકરો દોડતો બહાર આવ્યો. પોતાની કાણી માને જોઈને એક ક્ષણમાં જ એ પરિસ્થિતિ પામી ગયો અને એક વખત નિશાળમાં મા આવી ગઈ હતી અને એ જેવી રીતે ગુસ્સે થયો હતો એવી જ રીતે ગુસ્સે થઈને બરાડ્યો, “અરે! મારી અભાગણી મા! તું અહીંયા પણ મારાં બાળકોને ડરાવવા આવી પહોંચી? પણ કાન ખોલીને સાંભળી લે, તારા માટે આ ઘરમાં કોઈ જ જગ્યા નથી. સારું તો એ જ રહેશે કે તું અહીંયાથી ચાલી જા.''
એ જ વખતે એની પત્ની અંદરથી બહાર આવી. એક આંખવાળા માજીને રડતાં જોઈને એણે પોતાના પતિને પૂછ્યું, “કોણ છે આ માજી ? એમને શું જોઈએ છે?”
દીકરો કાંઈ બોલ્યો નહીં. એણે ગુસ્સા ભરી નજરે એની મા સામે જોયા કર્યું. માને થયું કે હવે દીકરાને વધારે ક્ષોભમાં નથી મૂકવો. એણે મન વાળ્યું કે પુત્રવધૂ અને દીકરાના સંતાનોને જોવાની ઇચ્છા તો પૂરી થઈ જ ગઈ હતી. આંખો લૂછીને એ બોલી, “માફ કરજો ભાઈ! મેં તમને સૌને ખોટા હેરાન કર્યાં. મને કદાચ ખોટું સરનામું મળ્યું લાગે છે!' એટલું કહીને એ ત્યાંથી નીકળી ગઈ.
થોડા સમય પછી એનો દીકરો જ્યાં ભણ્યો હતો તે નિશાળમાં એક સ્નેહમિલન સમારંભ રાખવામાં આવ્યો હતો. એમાં જે તે વરસમાં ભણતા બધા વિદ્યાર્થીઓને હાજર રહેવાનું શાળા તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. એ છોકરાની નિશાળમાં ભણી ચૂકેલા એના બધા મિત્રોએ એને આ સ્નેહમિલન માં હાજર રહેવા માટે ખૂબ ભારપૂર્વક આગ્રહ કર્યો હતો. બધાના આગ્રહને કારણે એ પોતાની પત્ની અને બાળકોની રજા લઈને પોતાના ગામ આવ્યો.
ગામમાં આવ્યા પછી પ્રથમ વખત એને પોતાના ઘરે જવાની ઇચ્છા થઈ. એ ઘરે, જ્યાં પોતે પોતાનું બાળપણ પસાર કર્યું હતું. ઘડીક એણે મનને મારીને રાખ્યું. સ્નેહમિલન સમારંભ શરૂ થવામાં હજુ ઘણી વાર હતી. એનાથી રહેવાયું નહીં. પોતાના મિત્રને કહીને એ ત્યાંથી નીકળ્યો અને પોતાના બાળપણનાં ઘરે પહોંચ્યો. જઈને જોયું તો ખંડેર બની ગયેલું એ ઘર બંધ હાલતમાં હતું. એણે પાડોશીને પૂછ્યું તો એમણે જણાવ્યું કે છ મહિના પહેલા એની મા મૃત્યુ પામી હતી અને મરતાં પહેલાં એક પત્ર આપતી ગઈ હતી અને કહેતી ગઈ હતી કે જ્યારે પણ એનો દીકરો અહી આવે તો એને આ પત્ર આપજો.
દીકરો એટલો નીંભર હતો કે માના મોતની વાતથી પણ એને કોઈ દુઃખ ન થયું. પરંતુ કાણી માએ પત્રમાં શું લખ્યું હશે એ જાણવાની એને ઇચ્છા જરૂર થઈ હતી. એણે પત્ર ખોલ્યો. પત્રમાં એની માએ લખ્યું હતું
"મારા વ્હાલા દીકરા! દરેક ક્ષણે અને દરેક શ્વાસે હું તને જ યાદ કરું છું અને મરતાં સુધી યાદ કરતી રહીશ. એ દિવસે તારાં બાળકો ડરી ગયાં હતાં એના માટે હું તારી માફી માંગું છું.આ સાથે જ બીજી એક વાતની પણ હું માફી લઉં છું. મારા એક આંખવાળા ચહેરાને કારણે તારે જે નાનમ અનુભવવી પડી એના માટે હું શરમિંદા છું. પણ શું કરું દીકરા? તું નાનો હતો ત્યારે તને એક અકસ્માત નડેલો. એમાં તારી એક આંખમાં ખૂબ નુકસાન થયેલું. તારી આંખના આગળના કાળા ભાગમાં સફેદ ફૂલું થઈ ગયેલું. તું આખી જિંદગી એક આંખ સાથે જીવે એ મને જરાય પસંદ નહોતું. એના માટે મેં મારી એક આંખનો એ ભાગ કઢાવીને તારી આંખમાં બેસાડાવ્યો હતો. એના લીધે મારી આંખ કાયમ માટે નકામી થઈ ગઈ, પણ તું બંને આંખે દેખતો થઈ ગયો એ મારા માટે સૌથી મોટી વાત હતી. હું ભલે આખી જિંદગી કાણી રહી, પણ તને કોઈ કાણિયો નહીં કહે એનો આનંદ મને હંમેશાં રહ્યો છે અને રહેશે બેટા!
બસ! મારી આંખેથી પણ તું દુનિયા જોતો રહીશ એનાથી મને હંમેશાં સુખ મળતું રહેશે, મારા મર્યા પછી પણ. તું અને તારું કુટુંબ કાયમ સુખી અને ખુશ રહો એવા મારા અંતરના આશીર્વાદ, - એ જ. લિ. તારી કાણી મા"
પત્ર પૂરો થયો. એ નીંભર માણસની આંખમાંથી ગંગાજમના વહેવા લાગ્યાં. પત્રને છાતીએ લગાવીને ધ્રુસકે ધ્રુસકે રડતો એ જમીન પર બેસી ગયો. જિંદગીમાં પહેલી વાર એને પોતાની ભૂલ સમજાઈ. જીવતી માને હંમેશાં એણે નફરત જ કરી હતી, પરંતુ આજે એને પોતાની મરેલી મા ખૂબ જ વહાલી લાગવા માંડી હતી. એને પારાવાર પસ્તાવો થવા લાગ્યો. પણ જેણે નફરતનાં વૃક્ષો જ વાવ્યાં હોય એના નસીબમાં પસ્તાવાની છાંયડી ક્યારેય નથી હોતી. એને પણ એવું જ લાગતું હતું. એની, સાથે પણ એમ જ બન્યું હતું.