Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

મિસાઇલ મેન : ડૉ.એ.પી.જે અબ્દુલ કલામ બાયોગ્રાફી

 મિસાઈલ મેન : ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ

ડૉ અબ્દુલ કલામ


મિસાઈલ મેન : ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ બાયોગ્રાફી

(Missile Man : Dr.APJ Abdul Kalam Biography)


   પૂરું નામ :-   અવુલ પાકિર જૈનુલાબ્દીન

   જન્મ :-       15 ઓક્ટોબર 1931

   જન્મસ્થળ:- રામેશ્વરમ, તમિલનાડુ, ભારત

   અવસાન :-   27 જુલાઇ 2015 ના રોજ

   કારકિર્દી :-    વૈજ્ઞાનિક

   રાષ્ટ્રીયતા :-  ભારતીય


ડૉ. એ પી જે અબ્દુલ કલામ નું બાળપણ નું જીવન (Dr.APJ Abdul kalam Childhood Life)

ડૉ અબ્દુલ કલામ




ભારતના મિસાઇલ મેન તરીકે જાણીતા થયેલા અબ્દુલ કલામનો જન્મ તત્કાલીન મદ્રાસ રાજ્યમાં આવેલ ટાપુ-ગામ રામેશ્વરમાં તા. 15-10-1931ના રોજ એક મધ્યમવર્ગીય તમિલ કુટુંબમાં થયો હતો. તેમનું પૂરું નામ અવુલ પકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ હતું. પિતા જૈનુલાબ્દીન અને માતા આશિયામ્માનું તેઓ પાંચમું સંતાન હતા. એમના માતા-પિતાની સમાજમાં એક આદર્શ દંપતી રીકે ગણતરી થતી હતી. એમના પિતા જૈનુલાબ્દીને વ્યવસ્થિત શાળાકીય શિક્ષણ મેળવ્યું ન હતું કે ન તો તેમની પાસે ધન હતું છતાં તેઓ જન્મજાત,સહજ અને ભરપૂર ડહાપણ તથા ઉદારતા ધરાવતા હતા. એમના માતા-પિતા ઊંચા અને દેખાવડા હતા જ્યારે અબ્દુલ કલામ ઓછી ઊંચાઇ ધરાવતા હતા.

અબ્દુલ કલામના મોટાભાઇ એ.પી.જે.એમ. મરાઇ કાયર, મુસ્તફા કલામ, નાના ભાઇ કાસિમ મહમ્મદ તથા બહેન જોહરા. મુસ્તફા કલામની રેલવે સ્ટેશન પર પરચૂરણની દુકાન હતી. નાના ભાઇ કાસિમ મહમ્મદની રામેશ્વરમાં  શંખ અને છીપોથી બનેલી વિવિધ વસ્તુઓની દુકાન હતી. કલામ પણ કયારેક કયારેક દુકાનમાં બેસી વસ્તુઓ વેચતા.


એમના ઘરમાં રોજ ઘણાં બધા બહારના લોકો એમની સાથે જમતા હતા. તેઓ ઓગણીસમી સદીની મધ્યમાં બંધાયેલ એમના પૂર્વજોના ઘરમાં રહેતા હતા. તે રામેશ્વરમની મસ્જિદ શેરીમાં આવેલ ચુના તથા ઇંટોનું બનેલ વિશાળ અને પાકું મકાન હતું. એમના માતા-પિતા ચુસ્ત સાદાઇમાં માનતા હોવાથી બિનજરૂરી સગવડો અને મોજમજાને ટાળતા હતા. અલબત, તેઓ ખોરાક, દવાઓ કે વસ્ત્રો જેવી જરૂરિયાતો સરસ રીતે પૂરી પાડતા. કલામનું બાળપણ ભૌતિક અને આંવેગિક રીતે ખૂબ સલામત રીતે વિત્યું હતું.


સામાન્ય રીતે તેઓ ભોજન એમના માતા સાથે રસોડાની જમીન પર બેસીને લેતા. એમની માતા એક કેળના પાંદડામાં ભાત, ખુશ્બોદાર સંભાર, ઘેર બનાવેલા તીખા વિવિધ અથાણા અને નારિયેળની તાજી ચટણી પીરસતાં.


એમના પિતા સવારે ચાર વાગે ઉઠી જતાં. ભળભાંખળું થાય તે પહેલા તે નમાજ કરતા. નમાજ પછી એમના ઘરથી ચાર માઇલ દૂર આવેલ એમની માલિકીના, નારિયેરીના વનમાં ચાલ્યા જતા. પાછા વળતાં તેઓ પોતાના ખભા પર એકાદ ડઝન નારિયેળ બાંધીને લઇ આવતા. ત્યારપછી જ તેઓ નાસ્તો કરતા આ નિયમ તેમણે છ દાયકા સુધી ચાલુ રાખ્યો હતો. કલામે પણ સમગ્ર જીવન દરમિયાન વિજ્ઞાન અને ટેક્નોલોજીના જગતમાં એમના પિતાને અનુસરવાનો પ્રયાસ કર્યો હતો.


રામેશ્વરમનું પ્રખ્યાત મંદિર એમના ઘરથી દસ મિનિટના અંતરે હતું. એમનો વિસ્તાર મહદ્અંશે મુસ્લિમ કુટુંબોનો હતો પરંતુ ત્યાં થોડા હિન્દુ કુટુંબો પણ વસતા હતા અને બધા ખૂબ હળીમળીને રહેતા હતા. ભાઇચારાના આ ગુણ તેમને બાળપણથી જ પ્રાપ્ત થયાં હતાં. એમના વિસ્તારમાં એક જૂની મસ્જિદ હતી. એમના પિતા રોજ એ મસ્જિદમાં એમને નમાજ માટે લઇ જતાં. એમના પિતા જ્યારે નમાજ પૂરી કરી મસ્જિદ બહાર આવતા ત્યારે વિવિધ પંથો અને સંપ્રદાયોના લોકો તેમની રાહ જોતા રહેતાં. ઘણાં તેમને પાણીનું વાસણ ધરતા. તેઓ પોતાની આંગળી બોળી તેને સ્પર્શતાં અને પ્રાર્થના કરતા. આ પાણી વિવિધ ઘરોમાં અપંગો માટે જતું જે લોકો આ પાણીથી સાજા થઈ જતાં તે પછી એમના પિતાની કૃતજ્ઞતા વ્યકત કરવા આવતા. એમના પિતા એમને કહેતા કે, આભાર મારો નહીં પણ પરવરદિગાર, અલ્લાહનો માનો! આવા ઉદાત્ત સંસ્કારી પિતાનું તેઓ સંતાન હતા. મોરના ઈંડાને કાંઈ ચીતરવા ન પડે' એ કહેવત પ્રમાણે આ બધા જ સંસ્કારો કલામમાં નાનપણથી જ આવ્યા હતા.


ડૉ અબ્દુલ કલામ



કલામના બાળપણના મિત્ર જે પાછળથી તેમના બનેવી બન્યા તે હતા; અહમદ જલાલુદીન, જલાલુદ્દીન અબ્દુલ કલામ કરતા પંદર વર્ષ મોટા હતા છતાં બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. તેઓ તેમને 'આઝાદ' કહીને બોલાવતા. બંને સાંજે દૂર સુધી ફરવા જતા. મસ્જિદ શેરીથી શરૂઆત કરી ટાપુના રેતાળ દરિયાકિનારા સુધી પહોંચતા ત્યાં સુધી જલાલુદ્દીન અને કલામ મુખ્યત્વે આધ્યાત્મિક વિષયો પર જ વાત કરતા. તેઓનું પ્રથમ રોકાણ ભગવાન શંકરના વિશાળ મંદિર પાસે જ થતું. કલામ મુસ્લિમ હોવાછતાં રામેશ્વરમાં આવતા શ્રદ્ધાળુઓ જે પૂજ્યભાવથી મંદિરની પ્રદક્ષિણા કરતા એ જ ભાવથી તેઓ પણ પ્રદક્ષિણા કરતાં અને તેઓ કહે છે કે.. અમારાં મન અને શરીરમાં અદૃશ્ય શક્તિનો આવિર્ભાવ થતો અનુભવતા. જલાલુદીન બહુ ભણેલા ન હતા તેમનાં તેઓ કલામને અભ્યાસમાં શ્રેષ્ઠત્વ મેળથવા પ્રોત્સાહિત કરતા અને કલામની સળતાને જાણે પોતાની સિદ્ધિ હોય તે રીતે ભરપેટ માણતા. જલાલુદ્દીન હંમેશા કલામની સાથે શિક્ષિત લોકો વિશે, વૈજ્ઞાનિક સંશોધનો વિશે, તત્કાલીન સાહિત્ય વિશે અને મેડિકલ વિજ્ઞાનની સિદ્ધિઓ વિશે વાતો કરતા. કલામને તેમણે સંકુચિત જગતની પેલે પારના ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ” વિશે જાગૃત કર્યાં.


કલામની કિશોરાવસ્થાને પ્રબળ રીતે પ્રભાવિત કરનાર બીજી વ્યક્તિ હતા, તેમના પિતરાઇ ભાઇ સમશુદ્દીન. તે રામેશ્વરમમાં વર્તમાનપત્રોના મુખ્ય વિક્રેતા હતા. બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ભારતમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. રામેશ્વરમ્ સ્ટેશને જે ટ્રેન થોભતી તે બંધ થઇ ગઇ. છાપા પણ એ જ ટ્રેનમાં આવતા. જ્યારે રામેશ્વરમ સ્ટેશન આવે ત્યારે ટ્રેનમાંથી છાપાના બંડલો ફૂંકવામાં આવતા. અબ્દુલ કલામે પોતાના પિતરાઈ ભાઈને આ બંડલો પકડવામાં મદદ કરી હતી. સાંજે શાળાએથી આવીને આ ન્યુઝ પેપરના બાકી નાણાં લેવા પણ જતા હતા. તે સમયે કલામ પ્રથમવાર પૈસા કમાયા હતા.

અબ્દુલ કલામને વારસામાં પિતા પાસેથી શિસ્ત અને પ્રમાણિકતા મળ્યા હતા તથા માતા પાસેથી ભલાઇમાં વિશ્વાસ અને ઊંડી કરૂણા મળ્યા હતા. જલાલુદ્દીન તથા સમશુરીન સાથે જે સમય ગાળ્યો હતો તેણે અબ્દુલ કલામના બાળપણને વિશિષ્ટ ઘાટ આપ્યો હતો.


અબ્દુલ કલામના બાળપણમાં ત્રણ ગાઢ મિત્રો હતા. રામાનંદ સ્વામી, અરવિંદન અને શિવપ્રકાશન. બા બન્ને છોકરાઓ હિન્દુ બ્રાહ્મણ કુટુંબોમાંથી આવતા હતા. પરંતુ તેમના વચ્ચે કોઈ ધાર્મિક ભેદભાવ ન હતો. રામાનંદ શાસ્ત્રીના પિતા પાક્ષી લક્ષ્મણ શાસ્ત્રી રામેશ્વરમ્ મંદિરના મુખ્ય પૂજારી હતા. કલામના પિતા અને પાક્ષી લક્ષ્મણ શાસ્ત્રી પણ ખાસ મિત્રો હતા.


ડૉ.કલામ નો અભ્યાસ (Dr.Kalam Education)

   
  અબ્દુલ કલામે પ્રાથમિક શિક્ષણ રામેશ્વરની એલિમેન્ટથી સ્કૂલમાં લીધું હતું. તેમના વિજ્ઞાન શિક્ષક હતા શિવ સુબ્રમણ્ય ઐયર. જ્યારે તેઓ પાંચમાં ધોરણમાં ભણતા હતા ત્યારે તેમના વિજ્ઞાન શિક્ષક શિવ સુબ્રમણ્ય ઐયરે તેમને પક્ષીઓ કેવી રીતે ઉંડે છે તેના વૈજ્ઞાનિક સિદ્ધાંતો વર્ગમાં સમજાવ્યા. તાસને અંતે બધાને પૂછવામાં આવ્યું ત્યારે અબ્દુલ કલામ સહિત ઘણાં બધા વિદ્યાર્થીઓએ સમજ ન પડી હોવાનો જવાબ આપ્યો તેથી એયર સાહેબે બધા જ વિદ્યાર્થીઓને સાંજે દરિયા કિનારે આવવા કહ્યું. સાંજે આખો વર્ગ દરિયા કિનારે ભેગો થયો. ઐયર સાહેબે આકાશમાં ઉડતા સીગલ પક્ષીને બતાવી તે પક્ષીઓ કેવી રીતે ઊડે છે, હવામાં વળાંક લે છે, ઉતરાણ કરે છે તે બધું જ બરાબર સમજાવ્યું. અબ્દુલ કલામને આ પાઠ બરાબર યાદ રહી ગયો. આ ઘટનાએ અબ્દુલ કલામમાં આકાશમાં ઉડવાના સ્વપ્નોના બીજ રોપ્યા અને આખરે તેઓ મિસાઇલ મેન બની ગયા! અબ્દુલ કલામ આવા શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક કહે છે.

ડૉ અબ્દુલ કલામ



અબ્દુલ કલામના માતા 93 વર્ષ જીવ્યા હતા. તેમના માટે કલામ (2014) નોંધે છે કે “A woman of love, a woman of kindness and above all a woman of divine nature." તેમના બાળપણનો એક પ્રસંગ છે. બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો હતો. આ સમયગાળો અબ્દુલ કલામના ઘર માટે પણ વિકટ હતો. એક દિવસ અબ્દુલ કલામ જમવા બેઠા હતા. અબ્દુલ કલામ એક પછી એક રોટલી માંગ્યે જ જતા હતા અને તેમના માતા પણ તેમને એક પછી એક રોટલી આપે જ જતા હતા. અબ્દુલ કલામે જ્યારે તેમનું ભોજન પૂરું કર્યું ત્યારે તેમના મોટાભાઇએ તેમને બોલાવી ખાનગીમાં ઠપકો આપતાં જે કહ્યું હતું જે અંગે કલામ (2013) નોંધ્યું હતું હતું કે કલામ, તને ખબર છે કે શું બની રહ્યું હતું? તું રોટલી ખાધે રાખતો હતો અને મા તને આપે જ જતી હતી. તેણે તને પોતાના ભાગની બધી જ રોટલી આપી દીધી. અત્યારે ખૂબ તકલીફભર્યો સમય ચાલે છે, તારે એક જવાબદાર પુત્ર બનવાની જરૂર છે અને માને ભૂખી ન રાખ'' અબ્દુલ કલામ આ સાંભળી અંદરથી ધ્રુજી ઊઠે છે. તેઓ પોતાની માતા પાસે દોડી જાય છે અને તેને વળગી પડે છે. અબ્દુલ કલામની આ પ્રેમાળ માતા રોજ પાંચવાર નમાજ પઢતા હતા. અબ્દુલ કલામને તેમનું જીવન સતત પ્રેરણા આપતું હતું.

અબ્દુલ કલામ જ્યારે એલિમેન્ટરી સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે એક નવા શિક્ષક તેમના વર્ગમાં આવ્યા. તે સમયે અબ્દુલ કલામ માથે ટોપી પહેરતા. અબ્દુલ કલામ પ્રથમ બેંચ (બાકડે) રામાનંદ શાસ્ત્રી સાથે બેસતા. નવા શિક્ષક રૂઢિચુસ્ત હતા. તેમણે અબ્દુલ કલામ જેવો મુસ્લિમ છોકરો હિન્દુ પૂજારીના પુત્ર રામાનંદ શાસ્ત્રી સાથે બેસે તે બિલકુલ સહન ન કરી શકયા. તેમણે અબ્દુલ કલામને છેલ્લે બાકડે બેસવાની આજ્ઞા કરી જેથી અબ્દુલ કલામ અને રામાનંદ શાસ્ત્રી ખૂબ નિરાશ થઈ ગયા. આ ઘટનાની જાણ વડીલોને કરવામાં આવી. પાક્ષી લક્ષ્મણ શાસ્ત્રીએ તરત જ તે શિક્ષકને બોલાવ્યા. આ શિક્ષકને તેમણે કડક સૂચના આપી કે આ નિર્દોષ બાળકોના મનમાં સામાજિક અસમાનતા અને ધાર્મિક અસહિષ્ણુતાનું ઝેર ન પ્રસરાવવું. ત્યારબાદ તે શિક્ષકે માફી માંગી અને સુધરી પણ ગયા. ટૂંકમાં, સર્વધર્મ સમભાવના સંસ્કાર તેમને રામેશ્વરમમાં બાળપણમાં જ મળી ગયા હતા.

આવો જ એક બીજો પ્રસંગ છે-તેમના વિજ્ઞાન શિક્ષક શિવ સુશ્રમણ્ય ઐયરનો. ઐયર સાહેબ કઇક બળવાખોર હતા. તેઓ સામાજિક બંધનો તોડવાનો ખૂબ પ્રયાસ કરતા પણ તેમની પત્ની રૂઢિચુસ્ત હતી. તેમણે એક દિવસ કલામને જમવાનું આમંત્રણ આપ્યું. એક મુસ્લિમ છોકરો પોતાના પવિત્ર રસોડામાં આવીને જમે તે તેમની પત્નીને મંજૂર ન હતું. તેમણે તો કલામને જમવાનું પીરસ્યું પણ નહીં. આખરે ઐયર સાહેબે જાતે જ કલામ સાહેબને જમવાનું પીરસ્યુ અને તેની સાથે તેમના પત્ની આ દૃશ્ય જોઇ રહ્યા. ઐયર સાહેબે ફરી બીજા અઠવાડિયે કલામ સાહેબને જમવાનું આમંત્રણ આપ્યું. કલામ ખચકાયા, તે જોઇને ઐયર સાહેબે જે કહ્યું તેને નોંધતા કલામ (2013) લખે છે, ‘‘એકવાર એક પ્રથા બદલવાનો તમે નિર્ણય લો છો, તો આવી સમસ્યાઓનો તમારે સામનો કરવો જ પડે છે. કલામ બીજે અઠવાડિયે તેમના ઘરે જમવા ગયા ત્યારે તેમની પત્નીએ જ પોતાના હાથે તેમને ભોજન પીરસ્યું હતું.

હાઈસ્કૂલનું શિક્ષણ અબ્દુલ કલામે સ્વાર્ટ્ઝ હાઈસ્કૂલ, રામનાથપુરમાં લીધું હતું. ત્યાં તેમને ઇયાદુરાઇ સોલોમન નામના શિક્ષક મળ્યા. તે તેમના માટે એક આદર્શ માર્ગદર્શક બન્યા. ઇયાદુરાઇ સોલોમન કલામને જે કહેતા તેને નોંધતા કલામ (2013) લખે છે કે ''જીવનમાં સફળ થવા અને ધાર્યા ઉચ્ચ પરિણામો મેળવવા તમારે ત્રણ પ્રબળ અને શક્તિશાળી પરિબળોને સમજવાનાં અને નિયંત્રિત કરવાના છે. ઇચ્છા, માન્યતા અને અપેક્ષા. તું જે ઇચ્છે છે તે બને તે પહેલાં તારે તેની ઇચ્છા ઊભી કરી એવું પૂર્ણ અને ચોક્કસપણે બનશે તેમ માનવું, તો સફળતા અવશ્ય મળે જ. કે આ વાતનું જીવંત ઉદાહરણ અબ્દુલ કલામના જીવનમાંથી મળે છે. અબ્દુલ કલામ જ્યારે નાના હતા ત્યારે તેમને દરિયા કિનારે ઉડતા પક્ષીઓનાં ઉડ્ડયન તથા આકાશનાં રહસ્યોનું ખૂબ આકર્ષણ હતું. કલામ બગલા તથા સીગલ પક્ષીઓને આકાશમાં ઊંચે ઉડતા જોતા ત્યારે તેમને પણ ઉડવાની તીવ્ર ઇચ્છા થતી. પોતાના ઉડવાના સ્વપ્નને જણાવતાં કલામ (2013) લખે છે કે, ‘‘ભલે હું સીધે સાદો ગ્રામીણ છોકરો હતો પણ મને શ્રદ્ધા હતી કે એક દિવસ હું પણ આકાશમાં ઉડીશ.'' અને ખરેખર રામેશ્વરમમાંથી આકાશમાં ઉડનાર તેઓ પ્રથમ હતા!

ડૉ અબ્દુલ કલામ



ઈ.સ. 1950માં અબ્દુલ કલામ ત્રિચીની સેન્ટ જોસેફ કોલેજમાં જોડાયા. ત્યાં જ તેમણે બી.એસસી.નો અભ્યાસ પૂર્ણ કર્યો. અબ્દુલ કલામ કહે છે કે, વિજ્ઞાનના વિદ્યાર્થી માટે કારકિર્દીની બીજી તકો રહેલી હોય છે તે વિશે મારી પાસે કોઈ માહિતી ન હતી. બી.એસસી.ની ડિગ્રી મેળવ્યા પછી જ મને ભાન થયું કે ભૌતિકશાસ્ત્ર મારો ખાસ વિષય ન હતો. તે સમયે એમને લાગ્યું કે પોતાના સ્વપ્નોને સાકાર કરવા માટે એમણે ઇજનેરીનો અભ્યાસ કરવો પડશે. ત્યારબાદ તેઓ પોતાના સ્વપ્નોને સાકાર કરવા માટે એમણે તે સમયે દક્ષિણ ભારતની ટેકનિકલ સંસ્થાઓમાં મુકુટ સમાન ગણાતી 'મદ્રાસ ઇન્સિટીટયૂટ ઓફ ટેક્નોલોજી (MIT)માં પ્રવેશ મેળવવા અરજી કરી હતી.

એમ.આઇ.ટી . માં પસંદ થયેલા ઉમેદવારોની યાદીમાં અબ્દુલ કલામનું નામ હતું પણ ત્યાં ભણવું ખૂબ જ ખર્ચાળ હતું. કોલેજની ફી ભરવા માટે એક હજાર રૂપિયાની આવશ્યકતા હતી. અબ્દુલ કલામના પિતા આ ફી ભરી શકે તેમ ન હતા. તે સમયે તેમની બહેન જોહરાએ પોતાની સોનાની બંગડી અને સોનાન હાર ગીરવે મૂકીને તેમને ફી ભરવાના એક હજાર રૂપિયા આપ્યા હતા. તે સમયે અબ્દુલ કલામ બહેનનો પોતાની ઉપરનો ભરોસો અને તેમને ભણેલો જોવાની દૃઢ ઇચ્છા જોઇને ગદ્દગદ્દ થઈ ગયા હતા. તે જ સમયે તેમણે નક્કી કર્યું કે પોતે કમાણી કરી આ બંગડીઓને છોડાવશે. પ્રથમ વર્ષ પૂરું થયું અને વિશિષ્ટ શાખાની પસંદગી કરવાની હતી. તેમણે પોતાના સ્વપ્નોને પાંખ આપી અને એરોનોટિકલ ઇજનેરીનો અભ્યાસક્રમ પસંદ કર્યો. આ વખતે અબ્દુલ કલામ પાસે પૈસા મેળવવાનો એક જ માર્ગ હતો અને તે સખત મહેનત કરી શિષ્યવૃત્તિ મેળવવી. આ પછી દર વર્ષે પ્રથમ આવી તેમણે આ શિષ્યવૃત્તિ મેળવી કોલેજની ફી ભરી હતી. આવા સખત પુરૂષાર્થના બળે તેમણે કોલેજ પૂર્ણ કરી એરોનોટિકલ એન્જિનીયર બન્યા હતા!


ડૉ .એપીજે અબ્દુલ કલામને મળેલા પારિતોષિક અને સન્માન(Awards and honors received by Dr. APJ Abdul Kalam)


ડૉ અબ્દુલ કલામ



ડૉ અબ્દુલ કલામ




ડૉ અબ્દુલ કલામ



અબ્દુલ કલામ એ ભારતના નામાંકિત વૈજ્ઞાનિક હતા. તેમને 40 યુનિવર્સિટીઓએ પીએચ. ડી. ની માનદ ડિગ્રીઓ આપી હતી. તેમને ઇ.સ. 1981માં ભારતનો ‘પદ્મ ભૂષણ એવોર્ડ’, ઈ.સ. 1990માં ‘પદ્મવિભૂષણ એવોર્ડ' તથા ઇ.સ. 1997માં ભારતનું સર્વોચ્ચ સન્માન ‘ભારતરત્ન એવોર્ડ’ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને ઘણીબધી વ્યાવસાયિક સંસ્થાઓ નથી એવોર્ડ અને ફેલો પ્રાપ્ત થયાં હતાં.





અબ્દુલ કલામના પુસ્તકો(Books of Abdul Kalam)


અબ્દુલ કલામે નીચેના પુસ્તકો લખ્યાં છે :


1. Advantage India: From Challenge to Opportunity


2. Beyond 2020 : A Vision for Tomorrow's India


3. Building a New India


4. Children Ask Kalam


5. Envisioning an Empowered Nation


6. Family and the Nation


7. Forge Your Future


8. Governance For Growth in India


9. Guiding Souls


10. Ignited Minds


11. India 2020 A Vision for the New Millennium.


12. Indomitable Spirit


13. Inspiring Thoughts


14. Manifesto for Change


15. Mission India (A Bridged Version of India 2020)


16. My Journey (Book of Poems)


17. My Journey: Transforming Dreams into actions


18. Pathways to Greatness


19. Re-Ignited


20. Scientific Indian


21. Songs of Life


22. Spirit of India


23. Squaring the circle: Seven steps to Indian Renais- sance


24. Target 3 Billion


25. The Guiding Light: A Selections of Quotations from my Favourite Books.


26. The Life Tree


27. The Luminous Sparks (Poem)


28. The Righteous Life


29. Thoughts for Change: We can do it.


30. Transcendence My Spiritual Experience with Pramukh Swamiji


31. Turning Points


32. Wings of Fire


33. You are Born to blossom


34. You are Unique

ડૉ અબ્દુલ કલામ


  

                         અંતિમ જીવન


ડૉ અબ્દુલ કલામ


તા. 27 જુલાઈ, 2015ના રોજ અબ્દુલ કલામ આઇ.આઇ.એમ. શિલોંગના વિદ્યાર્થીઓને સંબોધી રહ્યા હતા અને ત્યાં જ મંચ ઉપર તેઓ પડી ગયા. ત્યાંથી તેમને એમ્બ્યુલન્સ મારફત બેથાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પણ ડૉકટરોએ તેમને મૃત ઘોષિત કર્યા. આ સમયે સાંજના 6:30 વાગ્યા હતા. ભારતના સૌથી પ્રિય વૈજ્ઞાનિક, રાજનેતા, સંત તથા સ્વપ્નદ્રષ્ટા, દેશના પ્રેરક આ ધરતી પરથી વિદાય લઇ ચૂકયા હતા. રાત્રે લગભગ 8 વાગ્યે ટી.વી.પર સમાચાર પ્રસારિત થયા અને સમગ્ર રાષ્ટ્ર ઊંડી શોકની લાગણીમાં ડૂબી ગયું. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો.


27 જુલાઈ, 2015ના રોજ જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે પક્ષ, રાજકારણ, રાજ્ય અને કાયદા, જાતિ અને સમુદાય, વિસ્તાર અને ધર્મથી પર થઇને આખો દેશ આ વિરલ વિભૂતિને શ્રદ્ધાંજલિ આપવા આગળ આવ્યો હતો. બીજા દિવસે તેમના અંતિમ દર્શન કરવા માટે 10, રાજાજી માર્ગ, નવી દિલ્હીના માર્ગ પર લોકો લાંબી લાંબી લાઇનોમાં અડધી રાત સુધી ઊભા રહ્યા હતા. દસ લાખથી વધુ લોકો તેમની અંત્યેષ્ટિમાં ભાગ લેવા માટે રામેશ્વરમ્ પહોંચ્યા હતા. એમાં ગરીબો અને ગામડાના લોકો પણ હતા કે જેમની પાસે પરિવહનની કોઇ સુવિધા ન હતી. તેથી તેઓ પગપાળા ત્યાં આવ્યા હતા. પરોપકારી સંસ્થાઓએ અંત્યેષ્ટિમાં આવનારાઓ મફત જમવાની, પરિવહનની તથા રોકાવા માટેની વ્યવસ્થા કરી હતી. એક કરોડ લોકોના હૃદય પ્રાર્થનાઓની સાથે ધડકી રહ્યા હતા. મહાત્મા ગાંધીજી પછી બીજા કોઇ એવા નેતા નથી થયા જેણે આપણા હૃદય અને મનને એવી રીતે જકડી રાખ્યા હોય, પ્રેરિત કર્યા હોય જેવી રીતે અબ્દુલ કલામે કર્યા હતા. જેના નામ પર સડકો, ટાપુ, યુનિવર્સિટી અને સંસ્થાઓ, પુરસ્કાર વગેરેનું નામકરણ કરવામાં આવ્યું.


એમણે જીવનની શરૂઆત ગરીબીમાંથી કરી હતી એ વાત એટલી આશ્ચર્યજનક નથી એનાથી વધારે લોકોને આશ્ચર્ય એ વાતનું થાય છે કે આટલી બધી સફળતા પ્રાપ્ત કર્યાં પછી અંતમાં એમની પાસે ગરીબો જેટલી જ સંપતિ હતી! દરેક વ્યક્તિ એમની ભૌતિક સંપત્તિની અંતિમ યાદી જોઈને વિનમ્ર થઇ જાય છે. એક કાંડા ઘડિયાળ, છ શર્ટ, ચાર પેન્ટ, ત્રણ સૂટ, એક જોડી બુટ અને આશરે 2500 પુસ્તકો. એમના અંતિમ સામાનની યાદી જોઇને કોઇપણ વ્યક્તિ સન્માનથી માથું નમાવ્યા વગર નથી રહી શકતો. એમની પાસે મૂળભૂત ઘરની જરૂરિયાતોની ચીજવસ્તુઓ પણ ન હતી. એટલું જ નહીં તેમણે પોતાના સગા- સંબંધીઓ માટે કોઇ વસિયત પણ લખી ન હતી.


તેઓ એક શિક્ષક હતા. જે આજીવન વિદ્યાર્થી બની રહ્યા હતા અબ્દુલ કલામ દેશના સૌથી આદર્શ ભારતીય હતા. એમણે પોતાના છેલ્લા શ્વાસ પણ દેશની સેવા કરતા લીધા હતા. જેને તેઓ સૌથી વધુ પ્રેમ કરતા હતા. મૃત્યુના સમયે પણ એ જ કામ તેઓ કરી રહ્યા હતા જે તેમને સૌથી પ્રિય હતું. વિદ્યાર્થીઓને સંબોધન કરવું, યુવાનોમાં પ્રેરણાની ચિનગારી પેદા કરવી એમનું જીવન પ્રેરણાનું બીજું નામ છે.


ડૉ અબ્દુલ કલામ